You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Bhaktibhav
ઈશ્વર એક છે, પરંતુ તેને પામવાના રસ્તા અનેક. એમાંનો એક રસ્તો એટલે ભક્તિ. ભક્તિની સરળ વ્યાખ્યા એટલે પરમાત્મા પ્રત્યે પરમપ્રીતિ. તેમ છતાં વિવિધ સંપ્રદાયો દ્વારા ભક્તિના વિવિધ માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યા છે. જીવ અને જગતને બ્રહ્મના શરીર અને વિશેષણ માનતો વિશિષ્ટાદ્વૈતવાદ, બ્રહ્મને માયાના સ્વરૂપથી અલગ માનતો શુદ્ધાદ્વૈતવાદ, જીવ અને જગતને ઈશ્વરના આશ્રિત માનતો દ્વૈતાદ્વૈતવાદ, હરિને સર્વોચ્ચ તત્ત્વ, જગતને સત્ય અને ભેદને વાસ્તવિક માનતો દ્વૈતવાદ, ભગવતપ્રાપ્તિને જીવનનો ઉદ્દેશ માનતો અચિંત્યભેદાભેદ.
શું છે આ વાદ અને તેની દર્શનપદ્ધતિ? કોણ છે તેના પ્રવર્તકો અને શું છે તેની વિશેષતા? આ તમામ મહત્ત્વનાં વેદાંતિક દર્શનની સંપૂર્ણ સમજૂતી આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. ઉદ્ધવજી અને ભગવાન શ્રીકૃષ્ણના વાર્તાલાપરૂપે રચાયેલા ભાગવતધર્મની સમજૂતી પણ અહીં આપવામાં આવી છે. ઈશ્વરપ્રાપ્તિના આ માર્ગોની સાથે પુસ્તકમાં શ્રી ભાણદેવજીએ ભક્તિરસની મીમાંસા રજૂ કરી છે, જેમાં વેદો અને ઉપનિષદોનાં વિવિધ સૂત્રો અને શ્લોકોના આધારે ભક્તિરસનું માહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. ભારતભૂમિ પર થઈ ગયેલા મહાન સંતો, જેમ કે સંત જ્ઞાનેશ્વર, મીરાં, કૃષ્ણબાઈ, પરમ ભક્તિમતી આંડાલ અને શબરી જેવાં ભક્તોની ઈશ્વર પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિનું વર્ણન કરી પરમતત્ત્વ સાથે તાદાત્મ્ય સાધવાના અનેક માર્ગો પણ ઉજાગર કરવામાં આવ્યા છે. સાથે ગોપીઓના ચીરહરણ દ્વારા તેમને રાસલીલા તરફ દોરી જતા રહસ્યને સમજાવવામાં આવ્યું છે.
વેદાંતનાં તત્ત્વ અને અદ્વૈતની વાતોના અભ્યાસના નિચોડ દ્વારા પ્રાપ્ત સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર, દ્વૈત-અદ્વૈત જેવા તમામ વાદોની સવિશેષ સમજૂતી દ્વારા વાચકને પરમતત્ત્વની નિકટ લઈ જતું આ પુસ્તક દરેક સાધકને ઉપયોગીને નીવડશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service